આત્મ ચિન્તન.
આપણે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં જવુ હોય તો સૌથી પહેલાં તેના માટે, જ્ઞાન માટે
માહિતી ભેગી કરીએ અને આગળ વધીએ તેવીજ રીતે આધ્યામિક માર્ગ પર ચાલવુ
હોય તો આપણે તેના જ્ઞાન માટે વેદ,પુરાણ,ઉપનીષદ,ધાર્મિક પુસ્તકોનો સહારો લઈને
જ્ઞાન મેળવીએ છીએ. અને સાથે સાથે કોઈ જ્ઞાની ગુરુના સાનિધ્યમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.ગુરુ શિષ્યને યોગ્ય જ્ઞાન આપીને આધ્યામિક માર્ગ પર આગળ વધવામાં મદદ રૂપ થાય છે.આતો છે ભક્તિ માર્ગ, ભક્તિથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે.બીજો માર્ગ છે યોગ માર્ગ યોગ પણ એક વિજ્ઞાન છે. આજનુ આધુનીક વિજ્ઞાન યોગ વિજ્ઞાનને નથી માનતુ. આધુનીક વિજ્ઞાન પ્રયોગોને આધારે જે પરિણામ આવે તેને માને છે.પરંતુ યોગ વિજ્ઞાનમાં બતાવેલ માહિતીમાં કોઈ માને કે ના માને પરંતુ સત્ય છે. કોઈ પ્રખર ધ્યાનયોગ સાધનાથી ઉચાઈએ પહોચેલ ગુરુ શિષ્યને યોગ્ય માર્ગ દર્શનથી શિષ્યને મોક્ષ અપાવી શકે.ભક્તિ માર્ગમાં શાસ્ત્રને આધારે અને આપણે જે સંપ્રદાય અથવા જે ધર્મ અપનાવ્યો હોય તે પ્રમાણે તેના નિતિ નિયમો પ્રમાણે ચાલવુ પડે છે. જ્યારે યોગ માર્ગ એવો છે જેમાં વ્યક્તિએ પોતે પોતાની જાત પર પ્રયોગ કરવાનો છે. ધ્યાનમાં બેસવાનુ છે, એકાગ્રતા લાવવાની છે તેમાં કોઈ બે મત નહી. જ્યારે અલગ-અલગ સંપ્રદાય અને અલગ-અલગ ધર્મો, એકજ વસ્તુ, એકજ વાત માટે તેમના જુદા જુદા વિચારો અને અભિપ્રાય હોય, બે મત હોય.આ ધ્યાન જ એક એવી પધ્ધતી છે જેમાં કોઈ બે મત નથી.ભક્તિ માર્ગમાં મોક્ષ મળે પરંતુ એક જન્મમાં ક્યારેય ન મળે, કેટલા જન્મો પછીથી મોક્ષને પામી શકાય જ્યારે યોગ માર્ગમાં પ્રખર સાધનાથી ધારો તો મોક્ષ જલ્દી મળી શકે.યોગ વિજ્ઞાન એ બહુજ ઘહન વિષય છે, જે એક બે પાનામાં ન લખી શકાય આપણા ઋષિ મુનિયોએ વર્ષો યોગ તપસ્યા કરી છે.
યોગ વિજ્ઞાનમાં, યોગની ભાષામાં આપણા સાત શરીરનુ વર્ણન છે.
૧-સ્થુળ શરીર, ૨-પ્રાણ શરીર, ૩- સુક્ષ્મ શરીર, ૪-કારણ શરીર, ૫-મહા કારણ શરીર, ૬-ચૈતન્ય શરીર, ૭-વિરાટ શરીર.
અને શુક્ષ્મશરીરમાં સાત ચક્રોનુ વર્ણન છે. આ સાત ચક્રો નીચેથી ઉપરની તરફ,
૧-મુલાધારચક્ર, જેને ચાર પાંખડી. ( ગણેશ)
૨-સ્વાધિષ્ઠાનચક્ર, જેને છ પાંખડી. ( બ્રહ્મા)
૩-મણિપુરચક્ર , જેને દસ પાંખડી. ( વિષ્ણુ )
૪-અનાહતચક્ર, જેને બાર પાંખડી. ( શિવ )
૫-વિશુધચક્ર , જેને સોલ પાંખડી ( જીવ )
૬-આજ્ઞાચક્ર, જેને બે પાંખડી. ( આત્મા)
૭-સહસ્ત્રાધારચક્ર, જેને હજાર પાંખડી.( પરમાત્મા)
( મહાવીર ભગવાન જ્યારે જંગલમાં વિચરણ કરતા અને તેઓ જ્યાંથી પસાર થતા ત્યારે બે માઈલના અંતર સુધી જંગલી પ્રાણીઓ બીજા પ્રાણીની હત્યા કરવાનુ ,હિન્સા કરવાનુ છોડી દેતા હતા. મહાવીરસ્વામિ મનુષ્ય અવતારમાં હતા, અને તેમના તેજનો પ્રભાવ દુર દુર સુધી હતો સાધનાથી તેમના શુક્ષ્મ શરીરનો ઘેરાવો માઈલો સુધી દુર સુધી વીકસેલો હતો ).
કોઈ સિધ્ધ ગુરુ શિષ્યને શક્તિપાત આપે એટલે તે વ્યક્તિની કુન્ડલીની જાગૃત થાય.કુન્ડલીની નીચેથી ઉપર પહેલા મુલાધાર ચક્રમાં પ્રવેશે અને કુન્ડલીની તેનુ કામ શરૂ કરી દે, કુન્ડલીની એક પછી એક બધા ચક્રોમાંથી પસાર થાય છે,અને અનેક જન્મોના ભેગા થયેલ સારા ખોટા કર્મોને બાળી મુકે અને જ્યારે બધાજ કર્મો બળીને ભસ્મ થાય એટલે મનુષ્યને મોક્ષ અપાવે.કુન્ડલીનુ કામ છે આત્માને પરમાત્મા સાથે મિલાવવાનુ. નિયમિત ધ્યાનથી શુક્ષ્મ શરીરના ચક્રો ગતિમાન થાય છે. જાગૃત કુન્ડલીની યોગ સાધનાથી આ વ્યક્તિનુ મન ધીમે ધીમે શાંત થતુ જાય છે. અને જ્યારે મન શાંત પડે પછી પાંચ જ્ઞાનેન્દ્રીયો કાબુમાં આવે અને સાધક વ્યક્તિને ધ્યાનસ્થ અવસ્થા આવી જાય.એ વ્યક્તિ અંર્તરમુખ બની જાય.બાહ્ય જગત તેને મન તુચ્છ લાગે છે,સાચો આનંદ આપણી અંદર જ રહેલો છે,અને તે નીજાનંદમાં મ્હાલે છે. પછી દુનિયાની મોહ માયા, લાલચ, રાગ-દ્વેષ કંઈજ રહેતુ નથી. અને આવી વ્યક્તિના મોક્ષના દ્વાર ખુલી જાય છે.
ન જન્મ ન મૃત્યુ, ચિદાનંદરુપઃ
શિવોહમ – શિવોહમ -શિવોહમ.